હઝકિયેલ

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48


પ્રકરણ 36

યહોવાએ કહ્યું, “હે મનુષ્યના પુત્ર, તું ઇસ્રાએલના પર્વતોને મારા વચન સંભળાવ, તેમને કહે; હે ઇસ્રાએલના પર્વતો યહોવાની વાણી સાંભળો,
2 આ યહોવા મારા માલિક કહે છે; ‘દુશ્મન તમારે વિષે વાત કરે છે અને કહ્યું, આહા! હવે આ પ્રાચીન ઉચ્ચસ્થાનોઅમારા તાબામાં આવ્યા છે!’
3 “એમને તું એમ કહે કે, આ યહોવા મારા માલિકના વચન છે, ‘હે ઇસ્રાએલના પર્વતો, બીજી પ્રજાઓએ તમારો કબજો લીધો, અને તમને વેરાન બનાવી દીધા અને તમને બધી બાજુએથી તમને કચડી નાખ્યા એટલે તમે તો કુથલીનો વિષય બની ગયા છો અને લોકો તમારા વિષે ખરાબ વાતો કરે છે.”‘
4 માટે, હે ઇસ્રાએલના પર્વતો, મારાં વચનો સાંભળો, યહોવા મારા માલિકે, પર્વતોને અને કોતરોને અને ખીણોને, તથા આસપાસની બીજી પ્રજાઓની લૂંટ અને હાંસીનો ભોગ બનેલા વેરાન ખંડિયેરોને અને ઉજ્જડ શહેરોને જે કહ્યું છે તે સાંભળો;
5 યહોવા મારા માલિક કહે છે, “મારો કોપ અન્ય પ્રજાઓની અને મુખ્યત્વે અદોમની વિરુદ્ધ સળગી ઊઠયો છે: કારણ કે તેઓએ હર્ષાવેશમાં આવીને તિરસ્કારપૂર્વક ઇસ્રાએલના પ્રદેશોનો કબજો લઇને તેને લૂંટી લીધો છે.”
6 “તેથી તું પ્રબોધ કર અને ઇસ્રાએલના ડુંગરોને અને પર્વતોને, ખીણોને અને કોતરોને કહે કે ‘યહોવા મારા માલિક કહે છે: તમે આજુબાજુની પ્રજાઓના મહેણાં સહન કર્યા છે. તેથી હું કોપાયમાન થયો છું.”‘
7 યહોવા મારા માલિક કહે છે, “તેથી મેં પ્રતિજ્ઞા લીધી છે કે તમારી આસપાસની પ્રજાઓએ પોતે મહેણાંટોણાં વેઠવા પડશે;
8 “પરંતુ, હે ઇસ્રાએલના પર્વતો, તમારાં વૃક્ષોને શાખાઓ ફૂટશે અને ટૂંક સમયમાં પાછા ફરનાર મારા લોકો માટે ફળો બેસશે.
9 કારણ કે જુઓ, હું તમારા પક્ષમાં છું, હું તમારી તરફ ફરીશ, ને તમારામાં ખેડાણ તથા વાવેતર થશે;
10 હું તમારા પર પુષ્કળ માણસોને વસાવીશ, ઇસ્રાએલના આખા વંશને હું વસાવીશ; શહેરોમાં ફરી વસ્તી થશે અને ખંડિયેરો ફરી બંધાશે.
11 માત્ર લોકોની વસતી જ નહિ, પણ તમારા ઢોરઢાંખર પણ અતિ ઘણાં વધારીશ. હે ઇસ્રાએલના પર્વતો ફરીથી તમે ઘરોથી ઢંકાઇ જશો. મેં અગાઉ તમારે માટે જે કર્યું છે તેથી વિશેષ હું તમારે માટે કરીશ. ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.
12 હું મારી પ્રજાને ફરીથી તમારા પર ચલાવીશ અને તેઓ ઇસ્રાએલના પર્વતો પર વાસો કરશે અને કબજો જમાવશે. અને હવે પછી કદી તમે તેમના સંતાનોને હરી લેશો નહિ.”
13 યહોવા મારા માલિક કહે છે: “બીજી પ્રજાઓ તારી હાંસી કરતા કહેતી હતી કે,’ ઇસ્રાએલ એવો દેશ છે જે પોતાના માણસોને ભરખી જાય છે અને પ્રજાને નિ:સંતાન બનાવે છે.
14 તો હવે પછી તું કદી માણસોને ભરખીશ નહિ અને તારા લોકોનાં સંતાનોને હરી લઇશ નહિ,” આ યહોવા મારા માલિકના વચન છે.
15 “હવે પછી તારે કદી બીજા લોકોના મહેણાં સાંભળવાનો કે વિદેશીઓની નિંદા સહેવાનો વખત નહિ આવે. તું તારી પ્રજાને ફરીથી કદીયે ઠોકર ખવડાવશે નહિ.” આ યહોવા મારા માલિકના વચન છે.
16 ફરીથી યહોવાની વાણી મને આ પ્રમાણે સંભાળાઇ:
17 “હે મનુષ્યના પુત્ર, જ્યારે ઇસ્રાએલીઓ પોતાની ભૂમિમાં વસતાં હતાં ત્યારે તેમણે તેને પોતાના વર્તાવ અને દુષ્કૃત્યોથી અશુદ્ધ કરી હતી. મારી સામે તેઓ રજસ્વલા સ્ત્રીની જેમ ચાલતાં હતાં. મારે મન તેમનો વર્તાવ ગંદો અને ધૃણાજનક હતો.
18 તેમણે આ ભૂમિને ખૂનથી અને મૂર્તિપૂજાથી પ્રદુષિત કરી હતી. તેથી મારો રોષ તેઓ પર સળગી ઊઠયો હતો.
19 મેં તેમને બીજી પ્રજાઓમાં વેરવિખેર કરી નાખ્યા અને વિદેશોમાં રઝળતા કરી દીધા. તેમના કૃત્યો અને વર્તાવ જેને લાયક હતા તે જ સજા મેં તેમને કરી.
20 પણ જ્યારે તેઓ જે જે પ્રજાઓમાં ગયા તેમની વચ્ચે તેમણે મારા પવિત્ર નામને બટ્ટો લગાડ્યો. લોકો તેમને વિષે એવું કહેવા લાગ્યા કે, ‘આ યહોવાના લોકો છે, અને એમને યહોવાના દેશમાંથી નીકળવું પડ્યું છે.’
21 “હું મારા પવિત્ર નામની ચિંતા કરું છું, કારણ કે મારા લોકોએ સમસ્ત જગતમાં મારા નામને તેઓ જ્યાં જયાં ગયા છે ત્યાં ત્યાં બટ્ટો લગાડ્યો છે.
22 એટલે તું ઇસ્રાએલીઓને કહે કે, આ યહોવા મારા માલિકના વચન છે: ‘હે ઇસ્રાએલીઓ, હું આ જે કહું છું તે તમારે માટે નથી કરતો પણ મારા પવિત્ર નામને માટે કરું છું, અને તમે જે વિદેશોમાં ગયા હતા તેમની વચ્ચે બદનામી કરી છે.
23 તમારે લીધે કલંકિત થયેલા મારા નામની પવિત્રતા હું એ પ્રજાઓમાં સિધ્દ કરી બતાવીશ, અને જ્યારે હું તેમની આગળ તમારી મારફતે મારી પવિત્રતા સિધ્દ કરીશ ત્યારે લોકોને ખાતરી થશે કે હું યહોવા છું.”‘
24 દેવ કહે છે, “હું તમને બધાને પરદેશોમાંથી બહાર કાઢી એકત્ર કરીને તમારી પોતાની ભૂમિમાં પાછા લાવીશ.
25 હું તમારા પર શુદ્ધ જળનો છંટકાવ કરીને તમને મૂર્તિપૂજાના પાપથી અને તમારી બધી અશુદ્ધિઓથી મુકત કરીશ.”
26 દેવ કહે છે, “હું તમને નવું હૃદય આપીશ, અને તમારામાં હું નવો આત્મા મૂકીશ. હું તમારું પથ્થર સમાન પાપી હૃદય દૂર કરીશ અને તમને નવું પ્રેમાળ હૃદય આપીશ.
27 હું તમારામાં મારા પોતાના આત્માનો સંચાર કરીશ, તમે મારા નિયમો પ્રમાણે ચાલો, ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરોતો એમ કરીશ.
28 તમારા પૂર્વજોને આપેલા ઇસ્રાએલના દેશમાં તમે વસશો. તમે મારી પ્રજા થશો અને હું તમારો દેવ થઇશ.”
29 દેવ કહે છે, “હું તમને બધી અશુદ્ધિઓથી બચાવીશ. હું અનાજને આજ્ઞા કરીશ અને તેની વૃદ્ધિ કરીશ, તમારે ત્યાં દુકાળ કદી પડવા દઇશ નહિ,
30 હું વૃક્ષોના ફળ અને ખેતીની પેદાશમાં મબલખ વધારો કરીશ તેથી લોકોમાં તમારે કદી દુકાળનું મહેણું સાંભળવાનું રહેશે નહિ.
31 ત્યારે તમે તમારાં ભૂતકાળના પાપ યાદ કરશો અને તમારા દુષ્કમોર્ને લીધે દુ:ખી થશો અને પોતાની જાતનો તિરસ્કાર કરશો.
32 યહોવા મારા માલિક કહે છે, “પણ હંમેશા યાદ રાખો; આ હું તમારે માટે કરતો નથી એની ખાતરી રાખજો, હે ઇસ્રાએલીઓ, આને તમે તમારા દુષ્કમોર્થી થતી અપકીતિર્ ને બેઆબરૂ સમજો.”
33 યહોવા મારા માલિકનું આ વચન છે: “જ્યારે હું તમને તમારા પાપોથી શુદ્ધ કરીશ ત્યારે હું તમને ફરીથી ઇસ્રાએલમાં તમારા ઘરે પાછા લાવીશ અને ઉજ્જડ થયેલા નગરોને ફરીથી બાંધીશ.
34 તમારા બંદીવાસ દરમ્યાન જે ભૂમિ વરસો સુધી વેરાન પડી હતી અને તેની પાસેથી પસાર થનારા સર્વ તમારા દેશને ખંડિયેર જોઇને નવાઇ પામતા હતા તે ભૂમિ ફરીથી ખેડાતી થશે.
35 જ્યારે હું તમને પાછા ‘લાવીશ ત્યારે તેઓ કહેશે, દેવથી તજાયેલી આ ભૂમિ હવે એદનવાડી સમાન થઇ ગઇ છે! ખંડિયેર જેવા નગરોની આસપાસ કોટ બાંધવામાં આવ્યા છે અને તેમાં ઘણા લોકો વસે છે!”‘
36 દેવ કહે છે, “ત્યારે આજુબાજુની બચી ગયેલી પ્રજાઓ જાણશે કે હું યહોવા છું અને મેં ખંડિયેર નગરોને ફરી બાંધ્યા છે અને ખેતરોમાં પાક ઉગાડ્યો છે. હું યહોવા તે કહું છું અને હું આ પ્રમાણે કરીશ.”‘
37 યહોવા મારા માલિક કહે છે: “ઇસ્રાએલીઓની વિનંતી હું સાંભળીશ. હજી હું તેઓ માટે એટલું કરવા તૈયાર છું કે હું એમની ઘેટાંની જેમ વંશવૃદ્ધિ કરીશ.
38 યરૂશાલેમમાં પવિત્ર ઉજવણીને દિવસે બલિદાનના ઘેટાંનાં ટોળા ઊભરાય છે, તેવી જ રીતે આ નાશ થઇ ગયેલા નગરોમાં માણસોના ટોળા ઊભરાશે; અને ત્યારે લોકોને ખાતરી થશે કે હું યહોવા છું.”