પ્રેરિતોનાં ક્રત્યો

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28


પ્રકરણ 7

પ્રમુખ યાજકે સ્તેફનને કહ્યું, “શું આ હકીકત સાચી છે?”
2 સ્તેફને જવાબ આપ્યો, “મારા ભાઈઓ અને યહૂદિ વડીલો મને ધ્યાનથી સાંભળો. આપણા પૂર્વજ ઈબ્રાહિમને આપણા મહિમાવાન દેવના દર્શન થયા. ઈબ્રાહિમ મેસોપોટેમિયામાં રહેતો પછી તે હારાનમાં રહેવા ગયા હતો તે અગાઉ આ બન્યું હતું.
3 દેવે ઈબ્રાહિમને કહ્યું, “તારો દેશ અને તારા લોકોને છોડીને તે દેશમાં જા જે હું તને બતાવીશ.”
4 “તેથી ઈબ્રાહિમે ખાલ્દી દેશ છોડ્યો અને તે હારાનમાં રહેવા ગયો. ઈબ્રાહિમના પિતાના મૃત્યુ પછી દેવે તેને આ સ્થળે મોકલ્યો. જ્યાં હાલમાં તમે રહો છો.
5 પણ દેવે ઈબ્રાહિમને આ જમીનમાંથી કશું આપ્યું નહિ. દેવે તેને એક ડગલું પણ જમીન આપી નહિ. પણ દેવે વચન આપ્યું કે ભવિષ્યમાં તે ઈબ્રાહિમને આ જમીન તેના માટે તથા તેના સંતાનો માટે આપશે. (ઈબ્રાહિમને કોઈ સંતાન નહોતા તે અગાઉ આ હતું.)
6 “દેવે તેને જે કહ્યું તે આ છે: ‘તારા વંશજો બીજા દેશમાં રહેશે. તેઓ અજ્ઞાત હશે. ત્યાંના લોકો તેઓને 400 વરસ સુધી ગુલામીમાં રાખશે. તેઓને દુ:ખ આપશે.”
7 “જે રાષ્ટ્ર તેઓને ગુલામ બનાવશે તેને હું શિક્ષા કરીશ. અને દેવે એમ પણ કહ્યું, ‘આ હકીકતો બન્યા પછી તમારા લોકો તે દેશમાંથી બહાર આવશે. અને પછી આ સ્થળે તમારા લોકો અહી મારી સેવા કરશે.’
8 ‘દેવે ઈબ્રાહિમ સાથે કરાર કર્યો; આ કરારની નિશાની સુન્નત હતી. અને તેથી જ્યારે ઈબ્રાહિમને પુત્ર થયો ત્યારે તે આઠ દિવસનો થતાં જ તેણે તેની સુન્નત કરી. તેના પુત્રનું નામ ઈસહાક હતું. ઇસહાકે પણ યાકૂબની સુન્નત કરી. અને યાકૂબે તેના પુત્રો માટે એમ જ કર્યુ. આ પુત્રો આગળ જતાં બાર પૂર્વજો થયા.
9 “આ પૂર્વજોને યૂસફની (તેઓનો નાનો ભાઈ) ઈર્ષા થઈ. તેઓએ યૂસફને ગુલામ થવા માટે મિસરમાં વેચ્યો. પરંતુ દેવ યૂસફની સાથે હતો.
10 યૂસફને ત્યાં ઘણી મુશ્કેલીઓ હતી. પણ દેવે તેને તે બધી મુશ્કેલીઓમાંથી બચાવ્યો. ફારુંન મિસરનો રાજા હતો. તેને યૂસફ ગમતો અને તેને માન આપતો કારણ કે દેવે યૂસફને ડહાપણ આપ્યું. ફારુંને યૂસફને મિસરનો અધિકાર બનાવી જવાબદારી સોંપી. અને ફારુંનના મહેલના તમામ લોકો પર શાસન કરવાની જવાબદારી સોંપી.
11 પરંતુ આખા મિસર અને કનાનની બધી જમીન સુકાઇ ગઇ. જેથી ત્યાં અનાજ ઊગ્યું નહિ. આથી લોકોને ખૂબ સંકટો સહન કરવા પડ્યા. આપણા પૂર્વજો ખાવા માટે કંઈ મેળવી શક્યા નહિ.
12 “પણ યાકૂબે સાંભળ્યું કે મિસરમાં અનાજનો સંગ્રહ થતો હતો. તેથી તેણે આપણા પિતાઓને (યાકૂબનાં સંતાનો) ત્યાં મોકલ્યો. (આ તેનો મિસરનો પ્રથમ પ્રવાસ હતો.)
13 પછી તેઓ બીજી વાર ગયા. આ વખતે, યૂસફે તેના ભાઈઓને તે કોણ હતો તે કહ્યું અને ફારુંને યૂસફના પરિવાર વિષે જાણ્યું.
14 પછી યૂસફે કેટલાક લોકોને તેના પિતા યાકૂબને મિસર આવવાનું નિમંત્રણ આપવા મોકલ્યો. તેણે તેના બધા સગાં સંબંધીઓને પણ નિમંત્રણ પાઠવ્યાં (75 વ્યક્તિઓ એક સાથે)
15 તેથી યાકૂબ મિસર આવી ગયો. યાકૂબ અને આપણા પૂર્વજો મૃત્યુપર્યંત ત્યાં રહ્યા.
16 પાછળથી તેઓના શરીરોને શખેમ લઈ જવામાં આવ્યા. તેઓને કબરમાં મૂકવામાં આવ્યા. (તે એ જ કબર હતી જે ઈબ્રાહિમે હમોરના દીકરાઓ પાસેથી શખેમમાંથી ખરીદી હતી. તેણે તેઓને રૂપાનું નાણું પણ ચૂકવ્યું હતું.)
17 “મિસરમાં યહૂદિ લોકોની સંખ્યામાં વૃદ્ધિ થઈ. ત્યાં વધારે ને વધારે આપણા લોકો હતા. (દેવે ઈબ્રાહિમને જે વચન આપ્યું હતું તે જલદીથી સાચું થવાનું હતું.)
18 પછી મિસરમાં એક બીજા રાજાનો અમલ શરૂ થયો. તે યૂસફ વિષે કંઈ જાણતો ન હતો.
19 આ રાજા આપણા લોકોની સાથે કપટ કરીને આપણા પૂર્વજો તરફ ખરાબ રીતે વર્તતો હતો. રાજાએ તેમનાં બાળકોને ખુલ્લામાં બહાર તેઓની પાસે મુકાવડાવ્યાં જેથી તેઓ જીવે નહિ.
20 “આ સમય દરમ્યાન મૂસાનો જન્મ થયો હતો. તે ઘણો સુંદર હતો. ત્રણ માસ સુધી તેના પિતાના ઘરમાં મૂસાની સંભાળ લીધી.
21 જ્યારે તેઓએ મૂસાને બહાર મૂક્યો. ફારુંનની દીકરીએ તેને લઈ લીધો. તેણીએ તે જાણે તેનો પોતાનો પુત્ર હોય તે રીતે તેને ઉછેર્યો.
22 મિસરીઓએ તેઓ જે બધું જાણતા હતા તે મૂસાને શીખવ્યું. તે બોલવામાં અને તે પ્રમાણે કરવામાં બાહોશ હતો.
23 “જ્યારે મૂસા લગભગ 40 વર્ષનો થયો, તેણે વિચાર્યુ કે પોતાના દેશના ઇસ્ત્રાએલી ભાઈઓને મળવું તે સારું હશે.
24 મૂસાએ જોયું કે એક મિસરી માણસ યહૂદિ સાથે અનિચ્છનીય રીતે વર્તતો હતો. તેથી તેણે યહૂદિને સહાય કરી. મૂસાએ યહૂદિને ઇજા પહોંચાડવા માટે મિસરીને શિક્ષા કરી. મૂસાએ તેને એટલો સખત માર્યો કે તે મરી ગયો.
25 મૂસાએ વિચાર્યુ કે તેના યહૂદિ ભાઈઓ સમજશે કે દેવ મારા હાથે તેઓનો છૂટકારો કરશે. પણ તેઓ સમજ્યા નહિ.
26 “બીજે દિવસે મૂસાએ બે યહૂદિ માણસોને લડતા જોયા. તેણે બને વચ્ચે સમાધાન કરાવવા પ્રયત્ન કર્યો. તેણે કહ્યું, ‘ભલા માણસો, તમે ભાઈઓ છો! તમે એકબીજાનું ખરાબ શા માટે કરો છો?’
27 એક માણસ કે જે બીજાનું ખરાબ કરતો હતો તેણે મૂસાને ધક્કો માર્યો. તેણે મૂસાને કહ્યું, ‘અમારા પર કોણે તને અધિકારી કે ન્યાયાધીશ બનાવ્યો છે? ના!
28 ગઇકાલે તેં પેલા મિસરીને મારી નાખ્યો તેમ મને મારી નાખવા ધારે છે?
29 જ્યારે મૂસાએ તેને આમ કહેતો સાંભળ્યો ત્યારે, મૂસાએ મિસર છોડ્યું. તે મિધાનના પ્રદેશમાં રહેવા ગયો. ત્યાં તે અજાણ્યો હતો. મૂસા મિધાનમાં રહેતો ત્યારે ત્યાં તેને બે દીકરા હતા.
30 “ચાળીસ વરસ પછી મૂસા સિનાઇ પર્વતના રણ પ્રદેશમાં હતો. ત્યાં દૂતે તેને ઝાડીઓ મધ્યે અગ્નિ જ્વાળામાં દર્શન દીધું.
31 જ્યારે મૂસાએ આ જોયું. તે નવાઇ પામ્યો. તે તેને જોવા સારું નજીક ગયો. ત્યારે મૂસાએ એક અવાજ સાંભળ્યો; તે પ્રભુનો અવાજ હતો.
32 પ્રભુએ કહ્યું, ‘હું તારા પૂર્વજોનો દેવ, એટલે ઈબ્રાહિમનો, ઈસહાકનો તથા યાકૂબનો દેવ છું.’મૂસા ભયથી ધ્રુંજી ઊઠ્યો. અગ્નિ સામે જોવાની તેની હિંમત ચાલી નહિ.
33 પ્રભુએ તેને કહ્યું, ‘તારા જોડા કાઢી નાંખ, કારણ કે જે સ્થળે તું ઊભો છે તે પવિત્ર ભૂમિ છે.
34 મેં મારા લોકોને મિસરમાં દુ:ખ સહન કરતાં જોયા છે. મેં તેઓના નિસાસા સાંભળ્યા છે. તેઓને મુક્ત કરવા હું નીચે ઊતર્યો છું. હવે ચાલ, મૂસા હું તને મિસરમાં પાછો મોકલું છું.’
35 “આ મૂસા કે જેનો તેઓએ નકાર કર્યો એમ કહીને કે તેને કોણે અમારો અધિકારી અને ન્યાયાધીશ બનાવ્યો? ના! એ જ મૂસાને દેવે અધિકારી અને ઉદ્ધાર કરનાર થવા સારું મોકલ્યો. દેવે મૂસાને દૂતની મદદથી મોકલ્યો. આ તે દૂત હતો જેને મૂસાએ બળતા ઝાડવા મધ્યે જોયો હતો.
36 તેથી મૂસાએ લોકોને બહાર દોર્યા. તેણે અદભૂત પરાક્રમો અને ચમત્કારો કર્યા. મૂસાએ ઇજિપ્તમાં અને રાતા સમુદ્રમાં, મિસર દેશમાં અને 40 વરસ સુધી રણપ્રદેશમાં અદ્દભૂત કામો તથા ચમત્કારો કર્યા.
37 “આ એ જ મૂસા હતો જેણે યહૂદિ લોકોને આ શબ્દો કહ્યા હતા. ‘દેવ તમને એક પ્રબોધક આપશે. તે પ્રબોધક તમારા પોતાના લોકોમાંથી જ આવશે. અને તે મારા જેવો જ થશે.’
38 આ એ જ મૂસા છે જે રણપ્રદેશના યહૂદિઓની સભામાં હતો. તે દૂત સાથે હતો. જે દૂત તેને સિનાઇ પહાડ પર કહેતો હતો, અને તે જ આપણા પૂર્વજો સાથે હતો. મૂસા દેવ પાસેથી આજ્ઞાઓ મેળવે છે જે જીવન આપે છે. મૂસા આપણને તે આજ્ઞાઓ આપે છે.
39 “પણ આપણા પૂર્વજો મૂસાને તાબે ન થયા. તેઓએ તેનો અસ્વીકાર કર્યો. તેઓએ ફરીથી મિસર પાછા જવા વિચાર્યુ.
40 આપણા પૂર્વજોએ હારુંનને કહ્યું, ‘મૂસા અમને મિસર દેશમાંથી બહાર લાવ્યો છે પણ અમને ખબર નથી કે તેનું શું થયું છે તેથી કેટલાક દેવોને બનાવ જે અમારી આગળ જાય અને અમને દોરે.’
41 તેથી લોકોએ એક મૂર્તિ બનાવી જે વાછરડાં જેવી હતા. પછી તેઓએ મૂર્તિને તેનું બલિદાન આપ્યું. લોકો ઘણા ખુશ હતા કારણ કે તેણે જે બનાવ્યું હતું તે પોતાના હાથે બનાવ્યું હતું!
42 પણ દેવ તેઓનાથી વિમુખ થયો અને તેઓને આકાશમાંના જૂઠાં દેવોના સૈન્યની પૂજા કરતા અટકાવ્યા. દેવ કહે છે: પ્રબોધકોના જે લખાણ છે તે આ છે. દેવ કહે છે,‘ઓ યહૂદિ લોકો! તમે રણપ્રદેશમાં 40 વરસ સુધી મને લોહીના બલિદાનો ચઢાવ્યા નહોતા.
43 તમે માલોખનો માંડવો અને તમારા રમ્ફા દેવનો તારો લઈને આવ્યા છો. આ મૂર્તિઓ તમે પૂજા કરવાને બનાવી છે. તેથી હું તમને બાબિલને પેલે પાર મોકલી દઈશ.
44 “અરણ્યમાં તે પવિત્ર મંડપ આપણા પૂર્વજોની પાસે હતો. દેવે મૂસાને આ મંડપ કેવી રીતે બનાવવો તે કહ્યું. દેવે જે યોજના બનાવી હતી તે પ્રમાણે તેણે તે બનાવ્યો.
45 પાછળથી યહોશુઆ આપણા પિતાઓને બીજા રાષ્ટ્રોની ભૂમિ જીતવા દોરી ગયો. આપણા લોકો અંદર પ્રવેશ્યા. દેવે બીજા લોકોને બહાર કાઢ્યા. જ્યારે આપણા લોકો આ નવી ભૂમિમાં પ્રવેશ્યા, તેઓ તેઓની સાથે એ જ મંડપ લઈ આવ્યા. આપણા લોકોએ આ મંડપો તેઓના પૂર્વજો પાસેથી પ્રાપ્ય કર્યો હતો. અને આપણા લોકોએ દાઉદનો સમય આવતા સુધી તે રાખ્યા.
46 દેવ દાઉદ પર ઘણો પ્રસન્ન હતો. દાઉદે તેના યાકૂબના દેવને માટે રહેઠાણ (મંદિર) બનાવવાની રજા માગી.
47 પરંતુ સુલેમાન એક વ્યક્તિ હતો જેણે મંદિર બાધ્યું.
48 “પરંતુ પરાત્પર દેવ માણસોએ તેઓના હાથે બાંધેલા રહેઠાણોમાં રહેતો નથી. પ્રબોધકો જે લખે છે તેમ: ‘પ્રભુ કહે છે, આકાશ મારું રાજ્યાસન છે.
49 પૃથ્વી મારા પાદાસન માટેની જગ્યા છે. તમે મારા માટે કેવા પ્રકારનું રહેઠાણ બનાવશો? એવી કોઈ પણ જગ્યા નથી જ્યાં મને વિશ્રામની જરુંર પડે!
50 સ્મરણ કરો મેં જ આ બધી વસ્તુઓ બનાવી છે!”‘ યશાયા 66:1-2
51 પછી સ્તેફને કહ્યું, “ઓ હઠીલા યહૂદિ આગેવાનો, તમે તમારા હ્રદય દેવને અર્પણ કર્યા નથી! તમે તેને ધ્યાનથી સાંભળતા પણ નથી. તમે હંમેશા પવિત્ર આત્મા તમને જે કહે છે તેઓનો વિરોધ કરો છો. તમારા પૂર્વજોએ આમ કર્યુ અને તમે પણ એમ જ કરો છો.
52 તમારા પૂર્વજોએ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી દરેક પ્રબોધકને સતાવ્યા છે. તે પ્રબોધકોએ તે ન્યાયીના (ખ્રિસ્ત) આગમન વિષે આગળથી ખબર આપી હતી. પરંતુ તમારા પૂર્વજોએ તે પ્રબોધકોને મારી નાખ્યા. અને હવે બીજા એક ન્યાયીથી વિમુખ થઈને તમે તેને મારી નાખ્યો.
53 તમે એ લોકો છો જેને મૂસા દ્ધારા નિયમો પ્રાપ્ત થયા. દેવે તમને આ નિયમો દૂતો દ્ધારા આપ્યા. પરંતુ તમે આ નિયમ પાળ્યો નહિ!”
54 યહૂદિ આગેવાનોએ સ્તેફનની આ બાબતો સાંભળી. તેઓ ગુસ્સે થયા. યહૂદિ આગેવાનો એવા ગાંડા થઈ ગયા હતા કે તેઓ સ્તેફન સામે દાંત પીસવા લાગ્યા.
55 પરંતુ સ્તેફન તો પવિત્ર આત્માથી ભરપૂર હતો. સ્તેફને આકાશમાં ઊચે જોયું. તેણે દેવનો મહિમા જોયો. તેણે ઈસુને જમણી બાજુએ ઊભેલો જોયો.
56 સ્તેફને કહ્યું, “જુઓ! હું આકાશને ખુલ્લું જોઉં છું અને માણસના દીકરાને દેવની જમણી બાજુએ ઊભેલો જોઉં છું!”
57 પછી બધા યહૂદિ આગેવાનોએ મોટા અવાજે બૂમો પાડી. તેઓએ તેઓના હાથો વડે તેઓના કાન બંધ કરી દીધા. તેઓ બધા સ્તેફન તરફ એક સાથે દોડ્યા.
58 તેઓ તેને શહેર બહાર લઈ ગયા અને તે મૃત્યુ પામ્યો ત્યાં સુધી તેના તરફ પથ્થરો ફેંક્યા. જે માણસો સ્તેફન વિરૂદ્ધ ખોટું બોલતા હતા તેઓએ તેના કપડાં શાઉલ નામના જુવાન માણસ પાસે મૂક્યા હતા.
59 પછી તેઓ સ્તેફનને પથ્થરો મારતા હતા. પરંતુ સ્તેફન તો પ્રાર્થના કરતો હતો. તેણે કહ્યું, “પ્રભુ ઈસુ, મારા આત્માનો સ્વીકાર કર!”
60 તેણે ઘૂંટણે પડીને બૂમ પાડી, “પ્રભુ આ પાપ માટે તેઓને દોષ દઈશ નહિ!” આમ કહ્યા પછી સ્તેફન અવસાન પામ્યો.