પ્રેરિતોનાં ક્રત્યો

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28


પ્રકરણ 5

અનાન્યા નામે એક માણસ હતો તેની પત્નીનું નામ સફિરા હતું. અનાન્યા પાસે જે જમીન હતી, તે તેણે વેચી દીધી.
2 પણ તેણે પ્રેરિતોને ફક્ત પૈસાનો કેટલોક હિસ્સો આપ્યો. તેણે કેટલાક પૈસા તેના માટે ખાનગીમાં રહેવા દીધા. તેની પત્નીએ પણ આ જાણ્યું અને તે તેની સાથે સમંત થઈ.
3 પિતરે કહ્યું, “અનાન્યા, શા માટે શેતાનને તારા હ્રદય પર સવાર થવા દે છે? તેં જૂઠું બોલીને પવિત્ર આત્માને છેતરવાનો પ્રયત્ન શા માટે કર્યો તેં તારું ખેતર વેચ્ચું, પણ તેં શા માટે પૈસાનો ભાગ તારી જાત માટે રહેવા દીધો?
4 તેં ખેતર વેચ્યું તે પહેલાં તે તારું હતું અને તે વેચ્યા પછી પણ તેં તારી ઈચ્છાનુસાર તે પૈસાનો કોઇ રીતે ઉપયોગ કર્યો હોત. તેં શા માટે આ ખરાબ કરવાનું વિચાર્યુ છે? તું દેવ સમક્ષ જૂઠું બોલ્યો છે, માણસો સમક્ષ નહિ!”
5 જ્યારે અનાન્યાએ આ સાંભળ્યું, તે નીચે પડ્યો અને મૃત્યુ પામ્યો. કેટલાક જુવાનો આવ્યા અને તેના શરીરને (કફનમાં) વીંટાળ્યું. તેઓ તેને બહાર લઈ ગયા અને દફનાવી દીધો અને દરેક માણસે જેણે આ અંગે સાંભળ્યું તે બધા ભયભીત થયા.
6
7 ત્રણેક કલાફ પછી તેની પત્ની અંદર આવી. સફિરા તેના પતિનું જે કંઈ થયું એ અંગે કશું જાણતી નહોતી.
8 પિતરે તેને કહ્યું, “તારા ખેતરના તને કેટલા પૈસા મળ્યા તે મને કહે. શું તે આટલા જ હતા (જે રકમ અનાન્યાએ કહી)?”સફિરાએ જવાબ આપ્યો, “હા, ખેતર માટે જે મળ્યું તે બધું જ.”
9 પિતરે તેને કહ્યું, “પ્રભુના આત્માનું પરીક્ષણ કરવા માટે તું અને તારો પતિ કેમ સંમત થયા? ધ્યાનથી સાંભળ! તું પેલા પગલાંનો અવાજ સાંભળે છે? તારા પતિને દફનાવનારા બારણે આવી પહોંચ્યા છે! તેઓ તને પણ આ રીતે લઈ જશે.”
10 તે જ વખતે સફિરા તેના પગે પડી અને મૃત્યુ પામી. જુવાન માણસો અંદર આવ્યા અને જોયું કે તે મૃત્યુ પામી હતી. તે માણસો તેને બહાર લઈ ગયા અને તેના પતિની બાજુમાં જ દફનાવી.
11 બધા જ વિશ્વાસીઓ અને બીજા બધા લોકો જેમણે આ વિષે સાંભળ્યું તે બધા ભયભીત થઈ ગયા.
12 પ્રેરિતોએ ઘણાં અદભૂત ચમત્કારો અને પરાક્રમો કર્યા. બધા લોકોએ આ બધી વસ્તુઓ જોઈ. પ્રેરિતો સુલેમાનની પરસાળમાં ભેગા થયા હતા. તેઓ બધાનો હેતુ સામાન્ય હતો.
13 બીજા લોકોમાંથી કોઇની પણ હિંમત તેઓની સાથે ઊભા રહેવાની ન હતી. બધા જ લોકો પ્રેરિતોના વિષે સારું બોલતાં હતા.
14 વધારે ને વધારે લોકો પ્રભુમાં વિશ્વાસ કરતાં થયા-ઘણા માણસો અને ઘણી સ્ત્રીઓ વિશ્વાસીઓના સમૂહમાં ઉમેરાવા લાગ્યા.
15 તેથી લોકો તેઓના માંદાઓને શેરીઓમાં લાવવા લાગ્યાં. લોકોએ સાંભળ્યું કે પિતર બાજુમાં આવી રહ્યો છે.તેથી લોકોએ તેઓના માંદા માણસોને પથારીઓમાં તથા ખાટલાઓમાં સુવાડ્યા. તેઓએ વિચાર્યુ કે જો માંદા લોકો નજીકમાં હોય તો પિતરના પડછાયાનો તેઓને સ્પર્શ થાય તો, તેઓને સાજા થવા માટે પૂરતું છે.
16 યરૂશાલેમની આજુબાજુ બધા શહેરોમાંથી લોકો આવ્યા. તેઓ તેઓના માંદા લોકોને અને જે લોકો અશુદ્ધ આત્માથી પીડાતા હતા તે સૌને લાવ્યા. તેઓમાંના બધાને સાજા કરવામાં આવ્યા હતા.
17 પ્રમુખ યાજક અને તેના બધા મિત્રોને (જેઓ સદૂકી પંથ તરીકે ઓળખાતા) ઘણી ઈર્ષા થઈ.
18 તેઓએ પ્રેરિતોની ધરપકડ કરી તેમને બંદીખાનામાં પુર્યા.
19 પરંતુ રાત્રી દરમ્યાન પ્રભુના દૂતે બંદીખાનાનાં બારણાં ઉઘાડ્યાં. દૂતે પ્રેરિતોને બહાર લઈ જઈને કહ્યું,
20 “જાઓ અને મંદિરના વાડામાં ઊભા રહો અને ઈસુમાં આ નવી જીંદગીની બધી બાબતો લોકોને કહો.”
21 જ્યારે પ્રેરિતોએ આ સાંભળ્યું ત્યારે, તેઓ તેની આજ્ઞા માનીને મંદિરમાં ગયા. વહેલી પ્રભાતે પ્રેરિતોએ લોકોને બોધ આપવાનો આરંભ કર્યો. પ્રમુખ યાજક અને તેના મિત્રો મંદિરમાં આવ્યા. તેઓએ યહૂદિ આગેવાનો અને મહત્વના વડીલ માણસોની સભા બોલાવી. તેઓએ કેટલાક માણસોને બંદીખાનામાંથી પ્રેરિતોને તેની પાસે લાવવા મોકલ્યા.
22 જ્યારે તે માણસો બંદીખાનામાં પહોચ્યાં ત્યારે તેઓએ ત્યાં પ્રેરિતોને જોયા નહિ. તેથી તેઓ પાછા ગયા અને યહૂદિ આગેવાનોને આ બાબત કહી.
23 તે માણસોએ કહ્યું, “બંદીખાનામાં બારણાં બંધ હતાં ને તેને તાળાં મારેલાં હતાં. રક્ષકો દરવાજા પાસે ઊભા હતા. પણ જ્યારે અમે બારણાં ઉઘાડ્યા ત્યારે બંદીખાનું ખાલી હતું!”
24 મંદિરના રક્ષકોના સરદારે અને મુખ્ય યાજકોએ આ સાંભળ્યું ત્યારે તેઓ મૂંઝવણમાં પડ્યા, “આના કારણે શું પરિણામ આવશે?”
25 બીજા એક માણસે તેને આવીને કહ્યું, “ધ્યાનથી સાંભળો, તમે જે માણસોને જેલમાં પૂર્યા હતા તેઓ તો મંદિરની પરસાળમાં ઊભા છે. તેઓ લોકોને બોધ આપે છે!”
26 પછી સરદાર અને તેના માણસો મંદિરની બહાર ગયા અને પ્રેરિતોને પાછા લાવ્યા. પરંતુ સૈનિકોએ બળનો ઉપયોગ કર્યો ન હતો, કારણ કે તેઓ લોકોથી બીતા હતા. સૈનિકોને લોકોના ગુસ્સે થવાનો અને પથ્થરોથી મારી નાખવાનો ભય હતો.
27 સૈનિકોએ પ્રેરિતોને સભામાં લાવીને યહૂદિ આગેવાનોની આગળ તેઓને ઊભા રાખ્યા. પ્રમુખ યાજકે પ્રેરિતોને પ્રશ્ર કર્યો.
28 તેણે કહ્યું, “અમે તમને આ માણસ વિષે કદાપિ નહિ શીખવવા કહ્યું છે! પણ જુઓ તમે શું કર્યુ છે! તમે તમારા બોધથી આખા યરૂશાલેમને ગજાવ્યું છે. તમે આ માણસના મૃત્યુ માટે અમને જવાબદાર ઠેરવવા પ્રયત્ન કરો છો.”
29 પિતર અને બીજા પ્રેરિતોએ જવાબ આપ્યો, “અમારે માણસો કરતાં દેવની આજ્ઞાનું પાલન વધારે કરવું જોઈએ.
30 તમે ઈસુને મારી નાખ્યો. તમે તેને વધસ્તંભે લટકાવ્યો. પણ દેવે, અમારા પૂર્વજોના એ જ દેવે ઈસુને મૃત્યુમાંથી ઊઠાડ્યો છે.
31 ઈસુને દેવે તેની જમણી બાજુએ ઊંચો કર્યો છે. દેવે ઈસુને આપણા રાજા અને તારનાર બનાવ્યો છે. દેવે આમ કર્યુ તેથી યહૂદિઓ પસ્તાવો કરે. પછી દેવ તેઓનાં પાપોને માફ કરી શકે.
32 અમે આ બધું બનતાં જોયું છે. અમે કહી શકીએ છીએ કે આ બધું સાચું છે. પવિત્ર આત્મા પણ એ બતાવે છે કે આ સાચું છે. દેવે બધા લોકો જે દેવની આજ્ઞાનું પાલન કરે છે તે સૌને પવિત્ર આત્મા આપેલો છે.”
33 યહૂદિ આગેવાનોએ આ શબ્દો સાંભળ્યા. તેઓ ઘણા ગુસ્સે થયા. તેઓએ પ્રેરિતોને મારી નાંખવા માટે યોજના કરવા માંડી.
34 ફરોશીઓમાંનો એક સભામાં ઊભો થયો. તેનું નામ ગમાલ્યેલ હતું. તે ન્યાયશાસ્ત્રી હતો, અને બધા જ લોકો તેને માન આપતા. થોડી મિનિટો માટે પ્રેરિતોને સભા છોડી જવા માટે કહેવા તેણે માણસોને કહ્યું.
35 પછી તેણે તેઓને કહ્યું, “ઈસ્ત્રાએલી માણસો, આ લોકો તમે જે કંઈ કરવા ધારો છો તે વિષે સાવધાન રહો.
36 યાદ કરો, જ્યારે થિયુદાસે બળવો કર્યો ત્યારે તેણે કહ્યું કે તે એક મહત્વનો માણસ હતો. આશરે 400 માણસો તેની સાથે જોડાયા. પણ તેને મારી નાખવામાં આવ્યો અને જે બધા તેને અનુસર્યા હતા તેઓ વેરવિખેર થઈને ભાગી ગયા. અને તેઓ કશું જ કરી શક્યા નહિ.
37 તે પછી, ગાલીલમાંથી યહૂદા નામનો માણસ આવ્યો. વસતિ ગણતરીનો સમય હતો ત્યારે તે બન્યું. તે શિષ્યોના એક સમૂહને દોરતો હતો. પરંતુ તે પણ માર્યો ગયો. અને તેના બધા શિષ્યો વિખેરાઈને નાસી ગયા.
38 અને તેથી હવે, “હું તમને કહું છું, “આ લોકોથી દૂર રહો. તેઓને એકલા છોડી દો. જો તેઓની યોજના જે મનુષ્યસર્જિત છે તો, તે નિષ્ફળ જશે.
39 પણ જો આ યોજના દેવ નિર્મિત હશે, તો તમે કોઇ તેઓને અટકાવી શકવાના નથી. ઊલટું તમે દેવની સાથે લડનારા મનાશો!” ગમાલ્યેલે જે કહ્યું તે સાથે યહૂદિ આગેવાનો સંમત થયા.
40 તેઓએ પ્રેરિતોને ફરીથી અંદર બોલાવ્યા. પ્રેરિતોને માર્યા અને ઈસુ વિષે ફરીથી લોકોને નહિ કહેવા તેઓને કહ્યું. પછી તેઓએ પ્રેરિતોને મુક્ત કર્યા.
41 પ્રેરિતો સભા છોડી જતા રહ્યાં.પ્રેરિતો ખુશ હતા કારણ કે ઈસુના નામને લીધે તેઓ અપમાન સહન કરવાને પાત્ર ઠર્યા.
42 પ્રેરિતોએ લોકોને બોધ આપવાનું બંધ કર્યુ નહિ. પ્રેરિતોએ લોકોને ઈસુ એ જ ખ્રિસ્ત છે એ સુવાર્તા કહેવાનું ચાલું રાખ્યું. તેઓ પ્રતિદિન મંદિરમાં પરસાળમાં અને લોકોને ઘરે આમ કહેતા.