1 થેસ્સલોનિકીઓને

1 2 3 4 5


પ્રકરણ 5

હવે, ભાઈઓ અને બહેનો, અમારે તમને સમય અને તારીખો વિષે લખવાની જરુંર નથી.
2 તમે સારી રીતે જાણો છે કે એ દિવસ કે જ્યારે પ્રભુ આવશે ત્યારે એક ચોર રાતે આવે છે તે રીતે તે આવશે.
3 લોકો કહેશે કે, “અમને શાંતિ છે અને અમે સુરક્ષિત છીએ.” તે સમયે પ્રસૂતાની પીડાની જેમ એકાએક તેઓનો વિનાશ આવી જશે. અને તે લોકો બચી શકશે નહિ.
4 પરંતુ તમે, ભાઈઓ અને બહેનો, તમારે અંધકારમાં (પાપ) જીવન જીવવું ના જોઈએ. અને તે દિવસ ચોરની જેમ તમારા પર આવી પડે તો તમે આશ્ચર્ય પામશો નહિ.
5 તમે બધા અજવાળાના (સારાં) સંતાન છો. તમે દહાડાના સંતાન છો. આપણે રાતના કે અંધકારના (શેતાન) સંતાન નથી.
6 તેથી આપણે અન્ય લોકો જેવા ન બનવું જોઈએ. આપણે ઊંધી ન રહેવું જોઈએ. આપણે જાગ્રત અને સ્વ-નિયંત્રણમાં રહેવું જોઈએ.
7 જે લોકો ઊંધે છે, તે રાતે ઊંધે છે. જે લોકો મદ્યપાનથી ચકચૂર બને છે, તે રાત્રે મદ્યપાનથી ચકચૂર બને છે.
8 પરંતુ આપણે તો દિવસ (સારાપણું) સાથે જોડાયેલા છીએ, તેથી આપણે આપણી જાતને નિયંત્રણમાં રાખવી જોઈએ. આપણે આપણી જાતનું રક્ષણ કરવા વિશ્વાસ, અને પ્રેમનું બખતર પહેરવું જોઈએ. અને તારણની આશાનો ટોપ પહેરીને સાવધ રહીએ.
9 દેવે તેના ક્રોધનો અભિશાપ બનવા આપણને પસંદ કર્યા નથી. દેવે તો આપણને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા તારણની પ્રાપ્તિને માટે પસંદ કર્યા છે.
10 આપણે તેની સંઘાતે જીવી શકીએ તેથી ઈસુ ખ્રિસ્ત આપણા માટે મરણ પામ્યો. જ્યારે ઈસુનું આગમન થાય ત્યારે આપણે જીવિત હોઈએ કે મૃત તેનું કોઈ મહત્વ નથી.
11 તેથી એકબીજાને હિંમત આપીએ. અને દૃઢ બનવા માટે એકબીજાને મદદ કરીએ.
12 હવે ભાઈઓ અને બહેનો, અમે તમને જે લોકો તમારામાં પરિશ્રમ કરે છે અને પ્રભુમાં તમારા આગેવાનો છે અને તમને સૂચનો કરે છે તેઓનો તમે આદર કરો એમ અમે ઈચ્છીએ છીએ.
13 તેઓ જે કાર્ય કરી રહ્યાં છે તેને ખાતર તેઓના તરફ પ્રેમ સાથે વધારે આદર દર્શાવો.
14 ભાઈઓ અને બહેનો, અમે તમને જે કહીએ છીએ તે જે કાર્ય કરતાં નથી તેઓને ચેતવણી આપો. જે લોકો બીકણો છે તેઓને ઉત્તેજન આપો. જે લોકો નિર્બળ છે તેઓને મદદ કરો. દરેક વ્યક્તિ સાથે ધીરજપૂર્વક વર્તો.
15 એ બાબતે નિશ્ચિત બનો કે કોઈ પણ વ્યક્તિ ભૂંડાઈનો બદલો ભૂંડાઈથી ન વાળે. પરંતુ તમારા એકબીજાને માટે જે સારું છે તે કરવા હમેશા પ્રયત્ન કરો.
16 સદા આનંદ કરો.
17 પ્રાર્થના કરવાનું કદી પડતું મૂકશો નહિ.
18 દરેક સમયે દેવની આભારસ્તુતિ કરો કેમ કે તમારા વિષે ખ્રિસ્ત ઈસુમાં દેવની મરજી એવી છે.
19 પવિત્ર આત્માનું કાર્ય કદાપિ અટકાવશો નહિ.
20 પ્રબોધને કદાપિ બિનમહત્વપૂર્ણ ન ગણશો.
21 પરંતુ દરેક વસ્તુની પરખ કરો. જે સારું છે તેને ગ્રહણ કરો.
22 અને સર્વ પ્રકારની દુષ્ટતાથી દૂર રહો.
23 અમે પ્રાર્થીએ છીએ કે દેવ પોતે જ, શાંતિદાતા તમને પૂરા પવિત્ર કરો; અને તેને જ પૂર્ણ આધિન બનાવે. અમે પ્રાર્થીએ છીએ કે તમારી સંપૂર્ણ જાત-આત્મા, પ્રાણ અને શરીર-સુરક્ષિત અને નિર્દોષ બની રહે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન થાય.
24 તે એક (દેવ) કે જે તમને બોલાવે છે અને તે જ તમારે માટે એમ કરશે. તમે તેના પર વિશ્વાસ કરો.
25 ભાઈઓ અને બહેનો, કૃપા કરીને અમારા માટે પ્રાર્થના કરો.
26 જ્યારે તમે મળો ત્યારે સર્વ ભાઈઓ અને બહેનોને પવિત્ર ચુંબન કરજો.
27 પ્રભુના અધિકાર વડે હું તમને કહું છુ કે આ પત્ર દરેક ભાઈઓ અને બહેનોને વાંચી સંભળાવજો.
28 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર થાઓ.