યોહાન

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21


પ્રકરણ 9

ઈસુ જ્યારે ચાલતો હતો ત્યારે, તેણે એક આંધળા માણસને જોયો. આ માણસ જન્મથી આંધળો હતો.
2 ઈસુના શિષ્યોએ પૂછયું, “રાબ્બી, આ માણસ જન્મથી જ આંધળો છે. પરંતુ કોના પાપથી તે આંધળો જનમ્યો? તેના પોતાના પાપે, કે તેના માબાપના પાપે?”
3 ઈસુએ ઉત્તર આપ્યો, “તે આ માણસનાં પાપ કે તેનાં માતાપિતાનાં પાપોથી આંધળો થયો નથી. આ માણસ આંધળો જન્મ્યો છે જેથી કરીને જ્યારે હું તેને સાજો કરું ત્યારે દેવનું સાર્મથ્ય લોકોને પ્રગટ કરાવી શકાય.
4 જ્યારે હજુ પણ દિવસનો સમય છે, ત્યારે જેણે મને મોકલ્યો છે તેનાં કામ કરવાં જોઈએ. જ્યારે રાત હોય છે ત્યારે રાત્રે કોઈ માણસ કામ કરી શકતો નથી.
5 જ્યારે હું જગતમાં છું, હું જગતનો પ્રકાશ છું.”
6 ઈસુએ આમ કહ્યાં પછી, ઈસુ ધૂળ પર થૂંકયો તે સાથે થોડો કાદવ બનાવ્યો. ઈસુએ તે માણસની આંખો પર કાદવ મૂક્યો.
7 ઈસુએ તે માણસને કહ્યું, “જા અને શિલોઆહના કુંડમાં ધોઈ નાખ.” (શિલોઆહ અર્થાત “મોકલેલા.”) તેથી તે માણસ કુંડ તરફ ગયો. તે આંખો ધોઈને પાછો આવ્યો. હવે તે જોઈ શકતો હતો.
8 કેટલાક માણસોએ આ માણસને પહેલા ભીખ માગતો જોયો હતો. આ લોકોએ અને તે માણસના પડોશીઓએ કહ્યું, “જુઓ! આ એ જ માણસ છે જે હંમેશા બેસીને ભીખ માગતો હતો.”
9 કેટલાક લોકોએ કહ્યું, “હા! તે એ જ માણસ છે,” પણ બીજા લોકોએ કહ્યું, “ના, તે એ જ માણસ નથી. તે ફક્ત તેના જેવો દેખાય છે.” તેથી તે માણસે પોતે કહ્યું કે, “હું એ જ માણસ છું જે પહેલાં આંધળો હતો.”
10 લોકોએ પૂછયું, “શું બન્યું? તેં તારી દષ્ટિ કેવી રીતે મેળવી?”
11 તે માણસે ઉત્તર આપ્યો, “તે માણસ જેને લોકો ઈસુ કહે છે તેણે થોડો કાદવ બનાવ્યો. તેણે તે કાદવ મારી આંખો પર મૂક્યો. પછી મને શિલોઆહ કુંડમાં ધોવા જવા કહ્યું, તેથી હું શિલોઆહ કુંડમાં જઈને ધોયા પછી દેખતો થયો.”
12 લોકોએ તે માણસને પૂછયું, “આ માણસ (ઈસુ) ક્યાં છે?” તે માણસે ઉત્તર આપ્યો, “હું જાણતો નથી.”
13 પછી લોકો તે માણસને ફરોશીઓ પાસે લાવ્યા જે આંધળો હતો.
14 ઈસુએ કાદવ બનાવીને તે માણસની આંખો સાજી કરી. જે દિવસે ઈસુએ આ કર્યું તે વિશ્રામવાર હતો.
15 તેથી હવે ફરોશીઓએ તે માણસને પૂછયું, ‘તેં તારી દષ્ટિ કેવી રીતે મેળવી?’તે માણસે ઉત્તર આપ્યો, “તેણે મારી આંખો પર કાદવ મૂક્યો. મેં આંખો ધોઈ, અને હવે હું જોઈ શકું છું.”
16 કેટલાક ફરોશીઓએ કહ્યું, “આ માણસ (ઈસુ) વિશ્રામવારના નિયમનું પાલન કરતો નથી. તેથી તે દેવ પાસેથી આવ્યો નથી.”બીજાઓએ કહ્યું, “પરંતુ એક માણસ કે જે પાપી છે તે આવા ચમત્કારો કરી શકે નહિ.” આ લોકો એકબીજા સાથે સંમત થઈ શક્યા નહિ.
17 યહૂદિ અધિકારીઓએ તે માણસને ફરીથી પૂછયું,“આ માણસે (ઈસુ) તને સાજો કર્યો, અને તું જોઈ શકે છે. તું એના વિષે શું કહે છે?”તે માણસે ઉત્તર આપ્યો, “તે એક પ્રબોધક છે.”
18 યહૂદિઓ હજુ પણ માનવા તૈયાર નથી કે ખરેખર તે આ માણસ સાથે આ બન્યું છે. તે તેઓ માનવા તૈયાર નહોતા કે આ માણસ આંધળો હતો અને હવે તે સાજો થયો છે. પણ પાછળથી તેઓએ તે માણસના માતા-પિતાને તેડાવ્યા.
19 તે યહૂદિઓએ તેના માતા-પિતાને પૂછયું, “શું આ તમારો દીકરો છે? તમે કહો કે તે આંધળો જનમ્યો હતો. તો હવે એ શી રીતે દેખતો થયો છે?”
20 માતાપિતાએ ઉત્તર આપ્યો, “અમે જાણીએ છીએ કે આ માણસ અમારો દીકરો છે અને અમે જાણીએ છીએ કે તે આંધળો જનમ્યો હતો.
21 પણ અમે જાણતા નથી કે હવે તે શી રીતે જોઈ શકે છે. અમે જાણતાં નથી તેની આંખો કોણે સાજી કરી. તેને પૂછો, એ પુખ્ત ઉમરનો છે અને તે તેની જાત માટે બોલશે.”
22 તેના મા બાપે આ કહ્યું, કારણ કે તેઓ યહૂદિ અધિકારીઓથી ડરતા હતા. માટે તેઓએ એમ કહ્યું, કારણ કે યહૂદિઓએ અગાઉથી એવો ઠરાવ કર્યો હતો કે ઈસુ એ જ ખ્રિસ્ત એવું જો કોઈ કબૂલ કરે, તો તેને સભાસ્થાનમાંથી કાઢી મૂકવો.
23 તેના કારણે તેના મા બાપે કહ્યું હતું કે તે પુખ્ત ઉંમરનો છે. તેને પોતાને પૂછો.
24 તેથી યહૂદિ અધિકારીઓએ જે આંધળો હતો તે માણસને બોલાવ્યો, તેઓએ તે માણસને ફરીથી અંદર આવવા કહ્યું, યહૂદિ અધિકારીઓએ કહ્યું, “તારે સત્ય કહીને દેવનો મહિમા કરવો જોઈએ. અમે જાણીએ છીએ કે આ માણસ (ઈસુ) એક પાપી છે.”
25 તે માણસે ઉત્તર આપ્યો, “જો તે પાપી હોય તો હું જાણતો નથી. હું એક વાત જાણું છું કે, હું આંધળો હતો અને હવે હું જોઈ શકું છું.”
26 યહૂદિ અધિકારીઓએ પૂછયું, “તેણે (ઈસુએ) તને શું કહ્યું? તેણે તારી આંખો કેવી રીતે સાજી કરી?”
27 માણસે ઉત્તર આપ્યો, “મેં હમણાં જ તમને તે કહ્યું હતું. પણ તમે મને ધ્યાનથી સાંભળ્યો નથી. તમે શા માટે તે ફરીથી સાંભળવા ઈચ્છો છો? શું તમે પણ તેના શિષ્યો થવા ઈચ્છો છો?”
28 યહૂદિ અધિકારીઓ ગુસ્સે થયા અને તે માણસની નિંદા કરીને પછી તેઓએ કહ્યું, “તું તે માણસ (ઈસુ) નો શિષ્ય છે. અમે મૂસાના શિષ્યો છીએ.
29 અમે જાણીએ છીએ કે દેવ મૂસા સાથે બોલ્યો, પરંતુ અમે એ પણ જાણતા નથી કે એ માણસ (ઈસુ) કયાંથી આવે છે!”
30 તે માણસે ઉત્તર આપ્યો, “આ એક ઘણી અજાયબ વસ્તુ છે. તમે જાણતા નથી કે ઈસુ ક્યાંથી આવે છે. છતાં તેણે મારી આંખો સાજી કરી છે.
31 આપણે બધા જાણીએ છીએ કે દેવ પાપીઓને ધ્યાનથી સાંભળતો નથી. પરંતુ દેવ તે વ્યક્તિને ધ્યાનથી સાંભળશે જે તેની ભક્તિ કરતો હોય અને તેની ઈચ્છા પ્રમાણે કરતો હોય.
32 જ્યારથી દુનિયાનો આરંભ થયો ત્યાર પછીનો આ એક પ્રથમ પ્રસંગ છે કે કોઈ વ્યક્તિએ જન્મથી આંધળા માણસને સાજો કર્યો હોય.
33 આ માણસ (ઈસુ) દેવથી હોવા જોઈએ, જો તે દેવથી ના હોત તો તે આવું કશું કરી શકત નહિ.”
34 યહૂદિ અધિકારીઓએ ઉત્તર આપ્યો, “તું તો ભરપૂર પાપોમાં જનમ્યો છે! શું તું અમને ઉપદેશ આપવાનો પ્રયત્ન કરે છે?” અને યહૂદિ અધિકારીઓએ તે માણસને કાઢી મૂક્યો.
35 ઈસુએ સાંભળ્યું કે યહૂદિ અધિકારીઓએ તે માણસને કાઢી મૂક્યો છે. ઈસુએ તે માણસને શોધ્યો અને કહ્યું, શું તું માણસના દીકરામાં વિશ્વાસ કરે છે?”
36 તે માણસે પૂછયું, “સાહેબ, માણસનો દીકરો કોણ છે? મને કહે, તેથી હું તેના પર વિશ્વાસ મૂકી શકું!”
37 ઈસુએ તેને કહ્યું, “તેં તેને હમણા જ જોયો છે અને જે તારી સાથે વાત કરે છે તે માણસનો દીકરો છે.”
38 તે માણસે ઉત્તર આપ્યો, “હા પ્રભુ! મને વિશ્વાસ છે,” પછી તે માણસે નમન કરીને ઈસુનું ભજન કર્યુ.
39 ઈસુએ કહ્યું, “હું આ જગતમાં આવ્યો છું, જેથી કરીને જગતનો ન્યાય થઈ શકે. હું આવ્યો છું જેથી આંધળા લોકો જોઈ શકે અને હું આવ્યો છું, જેથી કરીને લોકો ધારે છે કે તેઓ જોઈ શકે છે તેઓ આંધળા થાય.”
40 કેટલાક ફરોશીઓ ઈસુની નજીક હતા. તેઓએ ઈસુને આ કહેતા સાંભળ્યો. તેઓએ પૂછયું, “શું? તું એમ કહે છે કે અમે પણ આંધળા છીએ?”
41 ઈસુએ કહ્યું, “જો તમે ખરેખર આંધળા હોત તો તમને પાપનો દોષ ન લાગત, પણ તમે કહો છો કે તમે જુઓ છો તેથી તમે દોષિત છો.”