યોહાન

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21


પ્રકરણ 11

ત્યાં લાજરસ નામનો એક માણસ હતો જે માંદો હતો. તે બેથનિયાના ગામમાં રહેતો હતો. આ તે ગામ હતું જ્યાં મરિયમ તથા તેની બહેન માર્થા રહેતાં હતાં.
2 (મરિયમ એ જ સ્ત્રી છે જેણે પ્રભુ (ઈસુ) પર અત્તર છાંટયું હતું અને તેના પગ પોતાના વાળ વડે લૂછયા હતા,) મરિયમનો ભાઈ લાજરસ હતો, જે માણસ હવે માંદો હતો.
3 તેથી મરિયમ અને માર્થાએ ઈસુને કહેવા માટે એક વ્યક્તિને મોકલી, “પ્રભુ, તારો પ્રિય મિત્ર લાજરસ માંદો છે.”
4 જ્યારે ઈસુએ આ સાંભળ્યું, તેણે કહ્યું, “આ માંદગીનો અંત મૃત્યુ થશે નહિ. પરંતુ આ માંદગી દેવના મહિમા માટે છે. દેવના દીકરાનો મહિમા લાવવા માટે આમ થયું છે.”
5 (ઈસુએ માર્થા, તેની બહેન અને લાજરસ પર પ્રેમ રાખ્યો હતો.)
6 યારે ઈસુએ સાંભળ્યું કે લાજરસ માંદો છે ત્યારે પોતે જ્યાં હતો તે જ જગ્યાએ તે બે દિવસ વધારે રહ્યો.
7 પછી ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “આપણે પાછા યહૂદિયા ફરીથી જવું જોઈએ.”
8 શિષ્યોએ કહ્યું, “પણ રાબ્બી, યહૂદિયામાં યહૂદિઓ તને પથ્થરો વડે મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા. તે ફક્ત થોડા સમય અગાઉ થયું હતું. હવે તું ત્યાં પાછો જવા ઈચ્છે છે?”
9 ઈસુએ ઉત્તર આપ્યો, “ત્યાં દિવસના બાર કલાક પ્રકાશના હોય છે. ખરું ને? જો કોઈ વ્યક્તિ દિવસ દરમ્યાન ચાલે તો પછી તે ઠોકર ખાઈને પડતો નથી. શા માટે? કારણ કે તે આ જગતના પ્રકાશ વડે જોઈ શકે છે.
10 પણ જ્યારે વ્યક્તિ રાત્રી દરમ્યાન ચાલે છે, તે ઠોકર ખાય છે. શા માટે? કારણ કે તેને જોવા માટે મદદ કરનાર પ્રકાશ હોતો નથી.”
11 ઈસુએ આ વાતો કર્યા પછી તેણે કહ્યું, “આપણો મિત્ર લાજરસ હવે ઊંઘે છે. પણ હું તેને જગાડવા જઈશ.”
12 શિષ્યોએ કહ્યું, “પ્રભુ, પણ જો તે ઊંઘતો હશે તો તે સાજો થશે.”
13 ઈસુએ તો તેના મરણ વિષે કહ્યુ હતુ: પણ ઈસુના શિષ્યોને એવું લાગ્યું કે તેણે ઊઘમાં વિસામો લેવા વિષે કહ્યુ હતું.
14 તેથી ત્યાર બાદ ઈસુએ સ્પષ્ટ કહ્યું, “લાજરસ મૃત્યુ પામેલ છે.
15 અને મને આનંદ છે કે હું ત્યાં ન હતો. હું તમારી ખાતર પ્રસન્ન છું. કારણ કે હવે તમે મારામાં વિશ્વાસ કરશો. હવે આપણે તેની પાસે જઈશું.”
16 પછી થોમાએ (જે દિદુમસ કહેવાય છે) બીજા શિષ્યોને કહ્યું, “આપણે પણ જઈશું. આપણે યહૂદિયામાં ઈસુ સાથે મૃત્યુ પામીશું.”
17 ઈસુ બેથનિયામાં આવ્યો. ઈસુએ જોયું કે લાજરસ ખરેખર મૃત્યુ પામેલો છે અને ચાર દિવસથી કબરમાં છે.
18 બેથનિયા યરૂશાલેમથી બે માઈલ દૂર હતું.
19 ઘણા યહૂદિઓ માર્થા અને મરિયમ પાસે આવ્યા. યહૂદિઓ માર્થા અને મરિયમને તેમના ભાઈ લાજરસ સંબંધી દિલાસો આપવા આવ્યા હતા.
20 માર્થાએ સાંભળ્યું કે ઈસુ આવે છે. તે ઈસુને મળવા સામે ગઈ. પરંતુ મરિયમ ઘરે રહી.
21 માર્થાએ ઈસુને કહ્યું, “પ્રભુ, જો તું અહીં હોત તો મારો ભાઈ મરત નહિ.
22 પરંતુ હું જાણું છું કે હજુ પણ તું દેવ પાસે જે કંઈ માગશે તે દેવ તને આપશે.”
23 ઈસુએ કહ્યું, “તારો ભાઈ ઊઠશે અને તે ફરીથી જીવતો થશે.”
24 માર્થાએ ઉત્તર આપ્યો, “છેલ્લે દિવસે લોકો પુનરુંત્થાન (મરણમાંથી ઉઠશે) પામશે ત્યારે તે ફરીથી પાછો ઊઠશે. એ હું જાણું છું.
25 ઈસુએ તેને કહ્યું, “હું પુનરુંત્થાન છું. હું જીવન છું. જે વ્યક્તિ મારામાં વિશ્વાસ કરે છે તેના મૃત્યુ પછી ફરીથી જીવન પ્રાપ્ત કરશે.
26 અને જે વ્યક્તિ જીવે છે અને વિશ્વાસ કરે છે તે ખરેખર કદી મૃત્યુ પામશે નહિ. માર્થા, શું તું એવો વિશ્વાસ કરે છે?”
27 માર્થાએ ઉત્તર આપ્યો, “હા, પ્રભુ. મને વિશ્વાસ છે કે તું ખ્રિસ્ત છે, દેવનો દીકરો છે. તું જે જગતમાં આવનાર તે જ છે.”
28 માર્થાએ આ બાબત કહી પછી તેની બહેન મરિયમ પાસે પાછી ગઈ. માર્થાએ એકલી મરિયમ સાથે વાત કરી. માર્થાએ કહ્યું, “ગુરુંજી (ઈસુ) અહીં છે. તે તને બોલાવે છે.”
29 જ્યારે મરિયમે આ સાંભળ્યુ, તે ઊભી થઈ અને ઝડપથી ઈસુ પાસે ગઈ.
30 ઈસુ હજુ ગામમાં આવ્યો ન હતો. તે હજુ માર્થા તેને જ્યાં મળી તે જગ્યાએ હતો.
31 યહૂદિઓ મરિયમ સાથે ઘરમાં હતા. તેઓ તેને દિલાસો આપતા હતા. તેઓએ જોયું કે મરિયમ ઉતાવળથી ઊભી થઈને બહાર ગઈ. તેઓએ ધાર્યું કે તે લાજરસની કબર તરફ જાય છે. તેઓએ વિચાર્યુ કે તે ત્યાં વિલાપ કરવા જાય છે. તેથી તેઓ તેને અનુસર્યા.
32 મરિયમ ઈસુ જે જગ્યાએ હતો ત્યાં ગઈ. જ્યારે તેણે ઈસુને જોયો. તે તેના પગે પડી. મરિયમે કહ્યું, “પ્રભુ, જો તું અહીં હોત તો મારો ભાઈ મરત નહિ.”
33 ઈસુએ જોયું કે મરિયમ રડતી હતી. ઈસુએ તે પણ જોયું કે યહૂદિઓ તેની સાથે આવ્યા હતા. તેઓ પણ રડતા હતા. ઈસુનું હૃદય ઘણું દુઃખી થયું અને તે ઘણો વ્યાકુળ હતો.
34 ઈસુએ પૂછયું, “તમે તેને (લાજરસ) ક્યાં મૂક્યો છે?”તેઓ કહે છે, “પ્રભુ આવીને જો.”
35 ઈસુ રડ્યો.
36 અને યહૂદિઓએ કહ્યું, “જુઓ! ઈસુ લાજરસ પર પ્રેમ રાખતો હતો!”
37 પણ કેટલાક યહૂદિઓએ કહ્યું, “ઈસુએ આંધળા માણસની આંખો સાજી કરી છે. ઈસુમાં શું લાજરસ ન મરે એવું પણ કરવાની શક્તિ ન હતી?”
38 ફરીથી ઈસુને તેના હૃદયમાં ઘણું દુઃખ થયું.જ્યાં લાજરસ હતો તે કબર પાસે ઈસુ આવ્યો. તે કબર એક ગુફા હતી. તેના પ્રવેશદ્વારને મોટા પથ્થર વડે ઢાંકેલું હતું.
39 ઈસુએ કહ્યું, “આ પથ્થરને દૂર કરો.”માર્થાએ કહ્યું, “પણ પ્રભુ, લાજરસને મરી ગયાને હજુ ચાર દિવસ થયા છે. ત્યાં દુર્ગંધ હશે.” માર્થા મૃત્યુ પામનાર માણસ (લાજરસ)ની બહેન હતી.
40 પછી ઈસુએ માર્થાને કહ્યું, “યાદ કર મેં તને શું કહ્યું હતું?” મેં કહ્યું, “જો તું વિશ્વાસ કરશે તો પછી તું દેવનો મહિમા જોઈ શકશે.”
41 તેથી તેઓએ પ્રવેશદ્વાર પરથી પથ્થર હઠાવ્યો. પછી ઈસુએ ઊંચે જોયું અને કહ્યું, “પિતા, હું તારો આભાર માનું છું. કારણ કે તેં મને સાંભળ્યો.
42 હું જાણું છું કે તુ મને હંમેશા સાંભળે છે. પરંતુ મેં આ કહ્યું કારણ કે અહીં મારી આજુબાજુ લોકો છે. હું ઈચ્છું છું કે તેઓ વિશ્વાસ કરે કે તેં મને મોકલ્યો છે.”
43 ઈસુએ આમ કહ્યા પછી મોટા સાદે પોકાર કર્યો, “લાજરસ બહાર આવ!”
44 તે મૃત્યુ પામેલ માણસ (લાજરસ) બહાર આવ્યો. તેના હાથ અને પગ લૂગડાંના ટૂકડાઓથી વીંટળાયેલા હતા. તેનો ચહેરો રૂમાલથી ઢાંકેલો હતો. ઈસુએ લોકોને કહ્યું, “તેના પરથી લૂગડાંના ટૂકડા લઈ લો અને તેને જવા દો.”
45 ત્યાં ઘણા યહૂદિઓ મરિયમની મુલાકાતે આવ્યા હતા. આ યહૂદિઓએ ઈસુએ જે કર્યુ તે જોયું અને આ યહૂદિઓમાંના ઘણાએ ઈસુમાં વિશ્વાસ કર્યો.
46 પરંતુ કેટલાક યહૂદિઓ ફરોશીઓ પાસે ગયા. તેઓએ ઈસુએ જે કર્યુ તે ફરોશીઓને કહ્યું.
47 પછી મુખ્ય યાજકો અને ફરોશીઓએ યહૂદિઓની સભા બોલાવી. તેઓએ કહ્યું, “આપણે શું કરવું જોઈએ? આ માણસ (ઈસુ) ઘણા ચમત્કારો કરે છે.
48 જો આપણે તેને આ ચમત્કારો કરવાનું ચાલુ રાખવા દઈશું, તો બધા લોકો તેનામાં વિશ્વાસ કરશે. પછી રોમનો આવશે અને આપણા મંદિર અને રાષ્ટ્રને લઈ લેશે.”
49 ત્યાં કાયાફા નામનો એક માણસ હતો. તે વરસે તે પ્રમુખ યાજક હતો. કાયાફાએ કહ્યું, “તમે લોકો કશું જાણતા નથી!
50 લોકોના માટે એક માણસનું મરવું તે આખા રાષ્ટ્રનો વિનાશ થાય વે કરતાં વધારે સારું છે. પરંતુ તમને આનો ખ્યાલ આવતો નથી.”
51 કાયાફાએ આ વિષે તેની જાતે આનો વિચાર કર્યો નહિ. તે વરસનો તે મુખ્ય યાજક હતો. તેથી તેણે ખરેખર ભવિષ્ય કહ્યું હતું કે ઈસુ યહૂદિઓના રાષ્ટ્ર માટે મૃત્યુ પામશે.
52 હા, ઈસુ યહૂદિ રાષ્ટ્રના લોકો માટે મરશે. પરંતુ ઈસુ દેવનાં બીજા બાળકો જે આખા જગતમાં વિખરાયેલા છે તેમનાં માટે પણ મૃત્યુ પામશે. તે બધાઓને ભેગા કરવા અને તે લોકોને એક બનાવવા માટે તે મૃત્યુ પામશે.
53 તે દિવસે યહૂદિ આગેવાનોએ ઈસુને મારી નાખવાની યોજના કરવાનું શરું કર્યુ.
54 તેથી ઈસુએ યહૂદિઓમાં આજુબાજુ જાહેરમાં ફરવાનું બંધ કર્યુ. ઈસુએ યરૂશાલેમ છોડ્યું અને રણની નજીકની જગ્યાએ ગયો. ઈસુ એફ્રાઈમ નામના શહેરમાં ગયો. ઈસુ ત્યાં તેના શિષ્યો સાથે રહ્યો.
55 યહૂદિઓના પાસ્ખાપર્વનો લગભગ તે સમય હતો. તે દેશમાંથી ઘણા લોકો પાસ્ખાપર્વ પહેલા યરૂશાલેમ ગયા. તેઓ પાસ્ખાપર્વ પહેલા પોતાને શુદ્ધ કરવા માટે ખાસ વસ્તુઓ કરવા ગયા હતા.
56 લોકો ઈસુની શોધ કરી રહ્યા હતા. તેઓ મંદિરમાં ઊભા રહીને એકબીજાને પૂછતા હતા. શું તે (ઈસુ) ઉત્સવમાં આવે છે? તમે શું ધારો છો?”
57 પરંતુ મુખ્ય યાજકો અને ફરોશીઓએ ઈસુ વિષે ખાસ હુકમ આપ્યો હતો. તેઓએ કહ્યું, કે જો કોઈ વ્યક્તિ ઈસુ ક્યાં છે તે જાણે તો તે માણસે તેઓને જણાવવું જોઈએ. પછી મુખ્ય યાજકો અને ફરોશીઓ ઈસુને પકડી શકે.