હિબ્રૂઓને પત્ર

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13


પ્રકરણ 12

તો આપણી ચારે બાજુ વિશ્વાસના લોકોનો મોટો સમુદાય વિંટળાયોલો છે. લોકોના મોટા સમુદાયનો વિશ્વાસ શું છે તે તેમનું જીવન આપણને ઉદાહરણ પૂરું પાડે છે. માટે આપણે તેમના જેવા થવું જોઈએ. જેથી જે કોઈ બાબતો આપણને મંદ બનાવે કે પાછા પાડી દે તેનો આપણે ત્યાગ કરીએ. આપણને પાડી નાખનાર પાપથી આપણે અલગ થઈ જઇએ અને દેવે આપણા માટે નક્કી કરેલી દોડમાં ધીરજથી દોડીએ (આગળ વધીએ).
2 આપણે હંમેશા ઈસુનો દાખલો લઈ તેને અનુસરીએ. ઈસુ આપણા વિશ્વાસનો અગ્રેસર છે. અને તે આપણો વિશ્વાસ પૂર્ણ કરે છે. આપણે ઈસુ તરફ દષ્ટિ રાખીએ. તેણે પછીથી મળનાર આનંદને નજર સમક્ષ રાખીને વધસ્તંભ પર શરમજનક મરણ સહન કર્યુ અને હાલ તે દેવના રાજ્યાસનની જમણી બાજુ બિરાજમાન છે.
3 ઈસુ વિષે વિચાર કરો. પાપીઓ તરફથી તેણે આવો મોટો વિરોધ સહન કર્યો. તેઓએ તેની સાથે ક્રૂર વર્તાવ કર્યો હતો, છતાં તેણે ધીરજ રાખી હતી. તેમ તમે પણ પ્રયત્ન છોડીના દો અને ધીરજ રાખો.
4 પાપની વિરૂદ્ધ તમારે એટલું બધું ઝઝૂમવું પડ્યું નથી, અને એવી કોઈ આવશ્યકતા ન હતી કે તમારે તમારું લોહી વહાવવું પડે.
5 વળી દેવે તમને તેના બાળકો ગણીને કહેલાં ઉત્તેજનાદાયક વચનો ભૂલી ના જાઓ અને તેનો તિરસ્કાર પણ ના કરો:“મારા દીકરા, દેવ તને શિક્ષા કરે ત્યારે ગુસ્સે ના થા, અને જ્યારે દેવ તેને ભૂલ બતાવે ત્યારે પ્રયત્ન કરવાનો બંધ ના કર.
6 દેવ જેને ચાહે છે તે દરેકને શિક્ષા કરે છે, અને જેને તે પુત્ર તરીકે સ્વીકારે છે તે દરેક માણસને તે શિક્ષા કરે છે.”
7 દેવ પિતાની શિક્ષા સમજી દરેક પીડાઓ સહન કરો. દરેક પુત્રોને તેમના પિતા શિક્ષા કરે છે એ રીતે દેવ તમને પિતાની માફક શિક્ષા કરે છે.
8 જો તમને શિક્ષા થએલ નથી (દરેક પુત્રને શિક્ષા થશે), તો તમે દાસી પુત્રો છો અને ખરા પુત્રો નથી.
9 આપણા સંસારી પિતા આપણને શિક્ષા કરે છે છતાં આપણે તેનું માન જાળવીએ છીએ. તો પછી સાચું જીવન જીવવા માટે આપણા આત્માઓના પિતાને આપણે વધારે આધિન થવું જ જોઈએ. તે વધારે મહત્વનું છે. જે કાંઈ શિક્ષા કરે તે આપણે સ્વીકારવી જ જોઈએ.
10 પૃથ્વી પરના આપણા પિતાએ જે સૌથી ઉત્તમ વિચાર્યુ અને આપણને આપણા સારા માટે થોડા સમય માટે શિક્ષા કરી. પરંતુ દેવ આપણને આપણા ભલા માટે શિક્ષા કરે છે. જેથી આપણે તેના જેવા પવિત્ર બનીએ.
11 જ્યારે આપણને શિક્ષા કરવામાં આવે છે ત્યારે તે આનંદકારક લાગતી નથી. તેના બદલે આપણે પીડા ભોગવીએ છીએ. પણ પાછળથી તે શાંતિમય અને પ્રામાણિક જીવનનો રસ્તો આપણને આપે છે. આપણને શિક્ષા દ્ધારા તાલીમ અપાય છે.
12 તમે અશક્ત બની ગયા છો માટે તમારી જાતને ફરીથી વધુ બળવાન બનાવો.
13 સત્યના માર્ગે ચાલો તો તમે બચી જશો તેમાં તમારે કાંઇજ ગુમાવવાનું નથી.
14 બધા જ લોકો સાથે શાંતિથી જીવવા પ્રયત્ન કરો અને પાપથી મુક્ત જીવન જીવવા પ્રયત્ન કરો. જેનું જીવન પવિત્ર ન હોય તો તેને દેવના દર્શન કદી થશે નહિ.
15 સાવધ રહો, તમારામાંથી કોઈ દેવની કૃપા મેળવવામાં નિષ્ફળ ન જાય, કોઈ તમારામાં કડવાશના બી ના ઉગાડે. કારણ કે તેવા માણસો ઘણા લોકોના જીવન બરબાદ કરી શકે છે.
16 તમારામાંથી કોઈ વ્યભિચારમાં ન પડી જાય એ માટે સાવધ રહો. એક ભોજનના બદલામાં મોટો પુત્ર હોવાને લીધે જયેષ્ટ હકનો સોદો કરનાર એસાવની જેમ તમારામાંથી તમે કોઈ સાંસારિક મનવાળો ન બને.
17 યાદ રાખો, પાછળથી એસાવે આશીર્વાદ મેળવવા ભારે રુંદન સહિત પસ્તાવો કર્યો પણ ત્યારે ઘણું જ મોડું થઈ ગયું હતું અને પિતાએ આશીર્વાદ આપવાની સ્પષ્ટ ના પાડી દીધી કારણ એસાવે જે કઈ કર્યુ છે તેમાંથી તે પાછો ફરી શકે તેમ નહોતો.
18 તમે કોઈક નવી જગ્યા પર આવ્યા છો. ઇસ્ત્રાએલના લોકો પર્વતો પાસે આવ્યા હોય તેવી આ જગ્યા નથી. તમે એવા પર્વત પર નથી આવ્યા કે જે અગ્નિની જ્વાળાથી સળગતો છે જેને તમે અડકી ન શકો. તમે ઘમઘોર અંધકાર, આકાશ અને તોફાન હોય તેવી જગ્યાએ નથી આવ્યા.
19 તે સમયે રણશિંગડાના ભયંકર અવાજ સાથે દેવની વાણી સાંભળવામાં આવી પછી તે વિષે તેમણે ફરી કાંઈજ સાંભળ્યું નહિ. તે માટે લોકોએ પ્રાર્થના કરી.
20 તેઓ ફરી આજ્ઞા સાંભળવાનું સહન કરી શકે તેમ નહોતું: કારણ કે, “જો કોઈ જાનવરપહાડને અડકે તો તે પથ્થરથી માર્યુ જાય.” એવી આજ્ઞાથી તેઓ ધ્રુંજી ઉઠ્યા.
21 લોકોએ જે દશ્ય જોયું તે ખૂબજ ભયાનક હતું કે મૂસાએ પોતે પણ કહ્યું, “હું ભયથી ધ્રૂજું છું.”
22 પરંતુ તમે તો સિયોન પર્વત પર એટલે કે જીવંત દેવના નગર સ્વર્ગીય યરૂશાલેમ અને હજારોહજાર દૂતોની પાસે,
23 પ્રથમ જન્મેલા જેઓનાં નામ આકાશમાં લખેલાં છે તેઓની સાર્વજનિક સભા તથા મંડળીની પાસે, અને સહુનો ન્યાય કરનાર દેવની પાસે અને સંપૂર્ણ થયેલા ન્યાયીઓના આત્માઓની પાસે,
24 અને નવા કરારના મધ્યસ્થ ઈસુની પાસે અને જે છંટકાવનું રક્ત હાબેલના કરતાં સારું બોલે છે તેની પાસે આવ્યા છો. એ રક્ત હાબેલના રક્તની જેમ વેર લેવાનું કહેતું નથી. તેના કરતાં કાંઇક વિશેષ કહેવા માગે છે.
25 સાવધાન રહો અને જ્યારે તમારી સાથે દેવ બોલે ત્યારે સાંભળવાની ના પાડશો નહિ. યહૂદિઓ ચેતવણી સાંભળવાની ના પાડે છે જે તેઓને પૃથ્વી પર અપાઈ હતી. અને તેઓ તેમાથી બચ્યા નથી. હવે દેવ આકાશમાંથી આપણને કહે છે. જો આપણે તેને સાંભળવાનો અનાદર કરીએ તો આપણે તેમાંથી કેવી રીતે બચી શકીશું?
26 સિનાઈ પર્વત પરથી દેવ જ્યારે બોલ્યો, તે સમયે તેની વાણીએ પૃથ્વીને પણ ધ્રુંજાવી નાખી હતી, હવે તેણે વચન આપ્યું છે. “ફરી એક વાર પૃથ્વીની સાથે આકાશને પણ હું ધ્રુંજાવીશ.”
27 આ શબ્દો “ફરીથી એકવાર” સ્પષ્ટ દર્શાવે છે કે કંપાયમાન થયેલી વસ્તુઓની સાથે જે કાંઇ બનાવેલ છે તેનો નાશ થશે. અને જે કાંઇ સ્થિર છે અને જે ધ્રુંજાવી શકાશે નહિ તે રહેશે.
28 આપણે દેવનો આભાર માનવો જોઈએ કે આપણને એવંુ અવિચળ રાજ્ય આપે છે જેને ધ્રુંજાવી શકાતું નથી. તેથી આપણે દેવની સેવા ભય અને આદરભાવથી કરવી જોઈએ જેથી તે પ્રસન્ન થાય.
29 કેમ કે આપણો દેવ ભસ્મ કરી નાખનાર અગ્નિ છે.